Monday, 22 October 2012

ઘાયલોની મુલાકતે જતા પહેલા...કૃષ્ણ દવે

જી સાહેબ...
બધું જ તૈયાર કરી દીધું છે...
મગરના આંસુની બોટલ,
ચહેરા પર લગાડવાનો ગમગીનીનો પાવડર,
વખોડી કાઢવાના શબ્દોના પેકેટસ,
વિરોધીઓ પર આક્ષેપ કરવાનું પોટલું,
અને સાંત્વનાનું ભાષણ.

આ બધું જ તૈયાર કરીને આપના સામાનમાં પેક કરી દીધું છે.

અને હા સાહેબ, આપને ત્યાંથી સીધું જ ક્યાંક બીજે જવાનું થાય,
તો મૃતકો અને ઘાયલોની સંખ્યા તથા શહેરનું નામ - એટલું જ બદલવાનું રહેશે,
બાકી બધ્ધું જ એમનું એમ રહેશે, એમનું એમ......

No comments:

Post a Comment