Thursday, 18 October 2012

ગઝલ- રઈશ મનીઆર

મારા પ્રિય શાયર રઈશ મનીઆરની એક ગઝલ આજે માણીએ. આપણે જો મનથી નક્કી કરી લઇએ કે કંઈ વસ્તુ કરવી જ નથી ત્યારે આપણને કંઈને કંઈ નડે છે...આ નડવાની વાત રઈશભાઈએ બહુ સુંદર રીતે દરેક શેરમાં અલગ અંદાજ થી કરી છે..એમાંય સત્ય શોધનારના તરી જવાની વાત કે તણખલું બાજુમાં હોવા છતાં ડૂબી જવાની વાત તો ગઝલને એક નવી જ ઉંચાઈ આપે છે.


અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

No comments:

Post a Comment